શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

ભગવાન બુદ્ધ

 ભગવાન બુદ્ધ







બુદ્ધ પૂર્ણિમા : 


            પંચાંગ અનુસાર વૈશાખ પૂર્ણિમાના દિવસે બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં માનતા લોકો માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. વૈશાખી પૂર્ણિમાના દિવસે ઈ.પૂ. ૫૬૩માં નેપાળના લૂંબિનીમાં  બુદ્ધનો જન્મ થયો હતો અને આ જ દિવસે કઠોર તપશ્ચર્યા પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમણે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું. અને આ જ દિવસે વૈશાખી પૂર્ણિમાના દિવસે  ઈ. પૂ. ૪૮૩માં કુશીનગર, ઉત્તરપ્રદેશમાં તેમનું મહાપરિનિર્વાણ પ્રાપ્ત થયો હતો.

       બુદ્ધ પૂર્ણિમા ભારત ઉપરાંત દુનિયાના ઘણા દેશોમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. શ્રીલંકા, કંબોડિયા, વિયેતનામ, ચીન, નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, મ્યાનમાર, ઇન્ડોનેશિયા જેવા દેશ સામેલ છે. શ્રીલંકામાં આ દિવસને 'વેસાક' નામથી ઉજવવામાં આવે છે. જે નિશ્ચિત રૂપે વૈશાખનું અપભ્રંશ છે. આ દિવસે બૌદ્ધ અનૂયાયીઓ બૌદ્ધ વિહાર, અને મઠોમાં ભેગા થઇને એક સાથે ઉપાસના કરે છે. દીપ પ્રજવલિત કરી બુદ્ધની શિક્ષાઓનું અનુસરણ કરવાનો સંકલ્પ લેવામાં આવે છે.

            બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સૂર્યોદય બાદ મંદિરો અને ધાર્મિક સ્થળોએ બૌદ્ધ ધ્વજ લહેરાવવામાં આવે છે. આધુનિક બૌદ્ધ ધ્વજની શોધ શ્રીલંકાએ કરી છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે.  બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયના અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે. બુદ્ધના અસ્થિ પણ માત્ર ગુજરાત પાસે છે. બીજે ક્યાંય ઉપલબ્ધ નથી.


ગૌતમ બુદ્ધ


        સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે.  જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.


ગૌતમ બુદ્ધનું જીવન : 


જન્મ અને શરૂઆતનું જીવન : 


 સિદ્ધાર્થ ગૌતમનો જન્મ  આશરે ઈ.પૂ. ૫૬૩ પ્રાચીન ભારતના લૂંબિનીમાં, જે આજે નેપાળમાં છે ત્યાં થયો હતો. રાજા સુધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ(૭ દિવસ) માતા મહામાયા/માયાવતી નું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.


એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં અવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.


મહાભિનિષ્ક્રમણ :


૨૯ વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું.


બોધિ પહેલાનું સન્યાસી જીવન : 


સિદ્ધાર્થ સૌ પ્રથમ રાજગૃહ ગયા અને ત્યાં ઘરે ઘરે ભિક્ષા માગી સન્યાસી જીવનની શરૂઆત કરી. મગધ નરેશ બિંદુસારને જયારે આ વાતની જાણ થઈ ત્યારે, તેઓ સિદ્ધાર્થ પાસે ગયા અને પોતાનું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મુક્યો. સિદ્ધાર્થે રાજાનો પ્રસ્તાવ નમ્રતા પુર્વક ઠુકરાવ્યો, પણ બોધિ પ્રાપ્તિ પછી સૌ પ્રથમ મગધની મુલાકાત લેવાનું વચન આપ્યું.


મગધ છોડયા પછી સિદ્ધાર્થ આલારા કલામ નામના ગુરૂના શિષ્ય બન્યા. થોડાજ સમયમાં તેઓએ આલારા કલામ દ્વારા શીખવવામા આવતી બધીજ વિદ્યા પર પ્રભુત્વ મેળવ્યુ. પણ સિદ્ધાર્થને આથી સંતોષ થયો નહીં અને તેઓએ ગુરૂ પાસેથી જવાની રજા માંગી. ગુરુએ સિદ્ધાર્થને પોતાની પાસે રહીને અન્ય વિધ્યાર્થીઓને શીખવવાનું આમંત્રણ આપ્યું પણ સિદ્ધાર્થે તેનો નમ્રતા પુર્વક અસ્વીકાર કર્યો. હવે સિદ્ધાર્થ ઉદ્રક રમાપુત્ર નામના ગુરૂના શિષ્ય બન્યા. અહી પણ પહેલા મુજબ જ બન્યું અને સિદ્ધાર્થે ઉદ્રક રમાપુત્ર પાસેથી રજા લીધી.


હવે સિદ્ધાર્થ ઉરુવેલા પહોચ્યાં જ્યાં નિરંજના નદીના કિનારે કૌડિન્ય પોતાના પાંચ સાથીઓ સાથે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. હવે સિદ્ધાર્થનો ખોરાક દિવસનું એક ફળ માત્ર હતો. ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર ખુબજ નબળું થઈ ગયું. એક દિવસ નદીમાં સ્નાન કરી બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવાથી પડી ગયા. હવે સિદ્ધાર્થેને વિચાર થયો જો ભુખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થશે. હવે તેઓએ અતિકઠોર તપસ્યા અને એશોઆરામ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવાનો નિશ્ચય કર્યો. તેઓએ સુજાતા નામની છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.


બોધિની પ્રાપ્તિ : 


સન્યાસી જીવન દરમિયાન આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) અને વિપશ્યનાના અભ્યાસ દ્વારા ૩6 વર્ષની વયે તેમને વૈશાખી પૂર્ણિમા ની રાત્રિએ ,પીપળાના વૃક્ષની નીચે બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ બુદ્ધ કહેવાયા.આ સ્થળ હાલમાં બુધ્ધગયા કે બોધિગયા (બિહાર) તરીકે ઓળખાય છે,ત્યાંથી તેઓ સારનાથ ગયા અને પ્રથમ વખત ઉપદેશ આપ્યો ..લગભગ ૪૫ વર્ષ સુધી તેમણે અલગ અલગ જગ્યાએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો.


શેષ જીવન :


બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા.


મહાપરિનિર્વાણ : 


અંતિમ દિવસોમાં બુદ્ધ પાવા પહોંચ્યા. ત્યાં તેમણે ચુંદ નામના એક વ્યક્તિના ઘરે અંતિમ ભોજન લીધું. તે પછી તેઓ બીમાર પડી ગયા. તે નેપાળની તળેટીના પૂર્વાંચલમાં આવેલા કુસીનારા (હાલનું બિહાર) નગરીમાં પહોંચ્યા અને ત્યાં તેઓ ૮૦ વર્ષની ઉમરે મહાપરિનિર્વાણ પામ્યા.

[મૃત્યુ : આશરે ઇ.પૂ. ૪૮૩ (ઉંમર ૮૦) કુશીનગર, ઉત્તર પ્રદેશ, આજનું ભારત]

     તેમના અંતિમ સમયે પણ તેમણે સુભદ્ર નામના શ્રમણને આર્ય અષ્ટાંગિક માર્ગ સમજાવ્યો અને દીક્ષા આપી. તેમણે આપેલ અંતિમ ઉપદેશ હતો - " સર્વે સંસ્કાર અનિત્ય છે, અપ્રમાદીપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો."


ગૌતમ બુદ્ધ વિશે મહાનુભાવોના વિચાર : 


'બુદ્ધ જયંતી' ને દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, "વિશ્વએ યુદ્ધ અને બુદ્ધમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે." ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર એ બુદ્ધ ધર્મ વિશે કહ્યું હતું કે,"મને તે ધર્મ પસંદ છે જે સ્વાતંત્ર્ય, સમાનતા અને ભાઈચારાને શીખવે છે."


બૌદ્ધ ધર્મ


બૌદ્ધ એક  ધર્મ છે, આશરે ૫૦ કરોડથી પણ વધુ અનુયાયીઓ સાથે આ વિશ્વનો ચોથો સૌથી મોટો ધર્મ છે. બૌદ્ધ ધર્મનો ઉદય ભારતમાં થયો હતો. આ ધર્મનો ઉદ્ભવ ઇ.સ. પૂર્વેની ૬ઠ્ઠી થી ૪થી સદી દરમિયાન થયો હોવાનું મનાય છે. ગૌતમ બુદ્ધ આ ધર્મના સ્થાપક હતા. ઇ.સ. પૂર્વે ૫૬૩ના વર્ષમાં બુદ્ધનો જન્મ વર્તમાન નેપાળના લુંબિની નગરમાં શાકય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે. બોધિગયા નગરમાં આ ધર્મનું કેન્દ્રસ્થાન છે. આ ધર્મનો પ્રાચીન ધર્મગ્રંથ "ત્રીપિટક" છે જે પાલિ ભાષામાં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા, ચૈત્ય, સ્તુપ કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં પંચશીલ મનુષ્યનું માપદંડ અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને આર્ય અષ્ટાંગ માર્ગ કહે છે. આ ધર્મમાં ધ્યાનનું સવિશેષ મહત્વ છે. વિપશ્યના ધ્યાનની રીતનો ફેલાવો ભગવાન બુદ્ધે કર્યો હતો.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS